Kutch Bulletin: ભુજના એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોને પગલે ગત રાત્રે રહેવાસીઓએ કરેલા ચક્કાજામ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આજે કલેક્ટર અને સાંસદની અધ્યક્ષતામાં મળેલી ખાસ બેઠકમાં ભારે વાહનોની અવરજવર માટે નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે વાહનોને અલગ-અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ભારે વાહનો માટે હવે આ રહેશે નવો રૂટ
નવા જાહેરનામા મુજબ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વન-વે જેવી વ્યવસ્થા કરવામાં આવી છે:
- નખત્રાણા અને માંડવીથી આવતા વાહનો: પ્રિન્સ રેસીડેન્સીથી કોડકી ચાર રસ્તા થઈ મહિલા આશ્રમ તરફ જઈ શકશે.
- મુંદરાથી આવતા વાહનો: એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી થઈ કોડકી ચાર રસ્તાથી મહિલા આશ્રમ તરફ જશે.
- ભચાઉ-અંજારથી આવતા વાહનો: નળ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થઈ એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી તરફ જઈ શકશે.
- ખાવડાથી આવતા વાહનો: મહિલા આશ્રમ જંક્શનથી નળ સર્કલ થઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલ તરફનો માર્ગ વાપરશે.
લોકોનો આક્રોશ અને તંત્રની કાર્યવાહી
છેલ્લા બે-ત્રણ દિવસમાં એરપોર્ટ રોડ પર બે યુવાનોના અકસ્માતમાં મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલા ચક્કાજામ બાદ આજે બીજા શનિવારની રજા હોવા છતાં કલેક્ટર આનંદ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ તાકીદની બેઠક બોલાવી હતી. કલેક્ટરે વીજ થાંભલા હટાવવા, સ્પીડબ્રેકર મૂકવા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા કડક સૂચનાઓ આપી છે.
૧૫ માર્ચ સુધી નિયમન લાગુ રહેશે
આ નવું જાહેરનામું ૧૫/૦૩/૨૦૨૬ સુધી અમલી રહેશે. માર્ગ અને મકાન વિભાગને રસ્તાનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવા અને ટ્રાફિકને અડધો-અડધો વહેંચી દેવા આદેશ કરાયા છે. આ નિર્ણયથી એરપોર્ટ રોડ પર રહેતા હજારો નાગરિકોને અકસ્માતના ભયથી થોડી રાહત મળવાની આશા છે.
વધુ વાંચો:
ભારત-પાકિસ્તાન મેચ પહેલા 'હેન્ડશેક' વિવાદ: સૂર્યકુમારનો જવાબ
કચ્છના તાજા સમાચાર સીધા તમારા વોટ્સએપ પર મેળવવા માટે:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ