Kutch Bulletin: કચ્છ જિલ્લાના રાપર શહેરમાં આજે સવારના સમયે એક હૃદયદ્રાવક ઘટના બની છે. રાપરના તિરુપતિ વિસ્તારમાં આવેલા શ્રમજીવીઓના કાચા મકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતા ચાર પરિવારોના આશિયાના બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનાને પગલે ગરીબ પરિવારોની ઘરવખરી નાશ પામતા તેઓ અત્યારે નોંધારા બન્યા છે.
મળતી વિગતો અનુસાર, આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તિરુપતિ વિસ્તારમાં આવેલા કાચા મકાનો અને ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. સૂકા ઘાસ અને કાચા બાંધકામને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ફાયર ફાઈટરોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
ઘટનાની જાણ થતા જ રાપર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ટીમ લીડર કાનજી ડોડીયા, લલિત ઝાલા અને વેલજીભાઈએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ બાજુમાં આવેલા અન્ય મકાનો સુધી ફેલાતા અટકી હતી, જેના પરિણામે મોટી જાનહાનિ કે હોનારત ટળી હતી.
પરિવારો નિરાધાર બન્યા
આ આગમાં ચાર જેટલા શ્રમજીવીઓના રહેઠાણો સંપૂર્ણપણે બળી ગયા છે. મકાનમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાન રાખ થઈ જવાથી આ પરિવારો પર આભ ફાટ્યું છે. ઉલ્લેખનીય છે કે રાપરમાં અગાઉ જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ આજે આ આગની દુર્ઘટના બનતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.
વધુ વાંચો:
- શું તમને પણ વારંવાર થાક અને ઊંઘ આવે છે? જાણો ફેફસાં નબળા હોવાના લક્ષણો
- 4 કરોડના દારૂ કેસમાં મોટી ગાજ: પધ્ધર PI અને PSI સસ્પેન્ડ
કચ્છની દરેક પળની અપડેટ માટે અત્યારે જ જોડાવો:
👉 Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ