કચ્છની ધીંગી ધરા પર આહીર સંસ્કૃતિની મહેક | અંધારી તેરસના વણજોયા મુહૂર્તમાં ૧૧૩૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

Kutch Culture | Community News

કચ્છમાં પ્રાંથળિયા આહીર સમાજના લગ્નોત્સવમાં સાદગી અને પરંપરાનો સંગમ; ૧૧૩૨ નવદંપતીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં

Pranthaliya Ahir Samaj Kutch Mass Marriage 1132 Couples Kutch Bulletin News
પ્રતિકાત્મક તસ્વીર 

Kutch Bulletin - ભુજ: કચ્છની ધીંગી ધરા પર વસતા પ્રાંથળિયા આહીર સમાજે આધુનિકતાના ઝાકઝમાળ વચ્ચે પોતાની પ્રાચીન પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને અકબંધ રાખીને સમગ્ર સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષો જૂની અતૂટ માન્યતા મુજબ, આ સમાજમાં લગ્ન માટે કોઈ પંડિત પાસે મુહૂર્ત જોવડાવવાની આવશ્યકતા રહેતી નથી. ભગવાનના લગ્નનો પવિત્ર દિવસ એટલે કે વૈશાખ વદ તેરસ એ જ આ સમાજ માટે સર્વોત્તમ અને સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાય છે.

Sponsored Content

📍 સમગ્ર કચ્છમાં ૧૧૩૨ લગ્નોત્સવની ધૂમ

આ પવિત્ર પરંપરાને અનુસરીને ચાલુ વર્ષે પણ વૈશાખ વદ તેરસના દિવસે કચ્છભરમાં આહીર સમાજના લગ્નોત્સવનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં આ દિવસે કુલ ૧૧૩૨ વર-વધૂઓએ વૈવાહિક જીવનના શ્રીગણેશ કર્યા હતા. જેમાં વાગડ પંથકમાં અંદાજિત ૫૦૦ જેટલા લગ્નો સંપન્ન થયા હતા. વિશેષ કરીને ચોબારી ગામમાં એકસાથે ૯૬ લગ્ન યોજાતા સમગ્ર પંથક મંગલમય બની ગયો હતો.

✨ આધુનિકતાને તિલાંજલિ: પરંપરાગત વાઘા અને બળદગાડા

આ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા તેની સાદગી છે. આજના દેખાડાના યુગમાં આહીર સમાજના દીકરા-દીકરીઓએ આધુનિક વસ્ત્રોને બદલે સમાજના ગૌરવવંતા પરંપરાગત વાઘા સજીને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરી હતી. અહીં ડીજેના ઘોંઘાટ કે ફટાકડાને બદલે લોક સંસ્કૃતિના દુહા અને લગ્નગીતોના સૂરો રેલાયા હતા. દેશી ઢોલના ધબકારે અને બળદગાડામાં નીકળેલી જાનોએ સુવર્ણકાળની યાદ અપાવી દીધી હતી.

સુમરાસર શેખમાં ૪૫ યુગલો: ભુજ તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના સુમરાસર (શેખ) ગામે આયોજિત સાતમા સમૂહ લગ્નોત્સવમાં ૪૫ યુગલો જોડાયા હતા. આ પ્રસંગે આહીર સમાજના વડીલ આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ ભવ્ય પ્રસંગમાં સહભાગી થવા મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈ જેવા દેશના મહાનગરોમાં વસતા પરિવારો પણ માદરે વતન વાગડમાં ઉમટી પડ્યા હતા. તેજાભાઈ આહીર, ખીમાભાઈ ઢીલા, ગણેશભાઈ ઉંદરિયા, પાંચાભાઇ આહીર તથા વેલજીભાઈ આહીર જેવા આગેવાનોએ આ પ્રથાને આર્થિક બોજ ઘટાડનારી અને સામાજિક બંધનો મજબૂત કરનારી ગણાવી હતી. આમ, પ્રાંથળિયા આહીર સમાજે સાદગી અને એકતાનો સંદેશ પ્રસરાવીને ભારતીય સંસ્કૃતિનું જતન કર્યું છે.

કચ્છના સામાજિક અને સાંસ્કૃતિક સમાચાર માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ