Kutch Bulletin | Crime Special Report
અંજાર પોલીસનું પશ્ચિમ બંગાળમાં સાહસિક ઓપરેશન: બાંગ્લાદેશ બોર્ડર નજીકથી અપહૃત સગીરાને છોડાવી
Kutch Bulletin - Crime Desk - અંજાર: કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા અંજાર વિસ્તારમાંથી સગીરાના અપહરણની ચોંકાવનારી ઘટનામાં અંજાર પોલીસને આંતરરાજ્ય ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળના છેવાડાના ગામમાં, બાંગ્લાદેશ બોર્ડરની એકદમ નજીકથી પોલીસે ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સંસાધનોના જોરે અંજાર પોલીસે સેંકડો કિલોમીટર દૂર જઈ આ માનવીય કાર્ય પાર પાડ્યું છે.
Sponsored Content
🔍 શું હતી સમગ્ર ઘટના?
અંજાર પોલીસ મથકે તાજેતરમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૩૭(૨) અને ૮૭ મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. આરોપી હનીફ હફીજુલ સરકાર (રહે. મેનાપુર, પશ્ચિમ બંગાળ) ભોગ બનનારને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી પલાયન થઈ ગયો હતો. શરૂઆતમાં આરોપીનું પૂરું નામ કે સરનામું પોલીસ પાસે નહોતું, જે તપાસમાં મોટો પડકાર હતો.
🛡️ બાંગ્લાદેશ બોર્ડર પાસે 'સર્જીકલ' ઓપરેશન
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ પીઆઈ એચ.એ. જાડેજા તથા એ.આર. ગોહિલની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા:
- ટેકનિકલ ટ્રેકિંગ: પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી આરોપીનું લોકેશન પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિસ્તારમાં હોવાનું શોધી કાઢ્યું.
- જોખમી સમય: જે સમયે પશ્ચિમ બંગાળમાં મતગણતરીનો માહોલ હતો, તેવા સમયે અંજાર પોલીસના પીએસઆઈ જે.એસ. ચુડાસમાની ટીમ ત્યાં પહોંચી હતી.
- રેસ્ક્યુ: બાંગ્લાદેશ સરહદથી માત્ર ૨૫ થી ૩૦ કિમી દૂર આવેલા મેનાપુર ગામમાં દરોડો પાડી પોલીસે ભોગ બનનારને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.
🧠 બ્રેઈન વોશ અને કાઉન્સેલીંગ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી દ્વારા ભોગ બનનારનું 'બ્રેઈન વોશ' કરવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને, અંજાર પોલીસ દ્વારા તેને સીધી પરિવારને સોંપવાને બદલે ભુજ ખાતેની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યાં નિષ્ણાતો દ્વારા તેનું યોગ્ય કાઉન્સેલીંગ કરવામાં આવ્યું જેથી તે માનસિક આઘાતમાંથી બહાર આવી શકે.
કાયદાનો ગાળિયો મજબૂત: પોલીસે માત્ર ભોગ બનનારને છોડાવીને સંતોષ નથી માન્યો, પરંતુ આરોપી સામે કાયદાકીય શિકંજો વધુ કડક કર્યો છે. કેસની ગંભીરતા જોતા પોક્સો (POCSO) અને એટ્રોસીટી એક્ટ હેઠળની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરાઈ છે.
ભોગ બનનારના માતા-પિતા શ્રમિક વર્ગના હોઈ, પોલીસે તેઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમની દીકરી સુરક્ષિત રીતે પરત સોંપી માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સફળ કામગીરીમાં પીઆઈ એચ.એ. જાડેજા, એ.આર. ગોહિલ, પીએસઆઈ જે.એસ. ચુડાસમા અને સ્ટાફ જોડાયો હતો.
વધુ વાંચો:
કચ્છ પોલીસની સાહસિક કામગીરી અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ