Kutch Bulletin Exclusive : પૂર્વ કચ્છમાં ભ્રષ્ટાચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા એક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં એસીબીની ટીમે સફળ ડીકોય ટ્રેપ ગોઠવીને લાંચ લેતા એક ખાનગી કર્મચારીને રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર વસૂલાતના નેટવર્ક પર એસીબીએ આકરો પ્રહાર કર્યો છે.
મળતી વિગતો મુજબ, ગાંધીધામના મીઠીરોહર સ્થિત 'અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન' ખાતે મોટા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા અને રીપાસિંગની પ્રક્રિયા માટે અરજદારો પાસેથી નિયમ વિરુદ્ધના નાણાં ઉઘરાવવામાં આવતા હતા. અહીં ફરજ બજાવતા કર્મચારી વિક્રમસિંહ મનદ્રુપસિંહ જાટ દ્વારા મોટા વાહનના ફિટનેસ સર્ટિફિકેટ તેમજ રીપાસિંગની કાયદેસરની ઓનલાઇન ફી ઉપરાંત વધારાના ₹૨,૨૫૦/- ની લાંચ પેટે માંગણી કરવામાં આવી હતી.
આ સેન્ટર પર અરજદારોને નિયમ મુજબ કામ કરવા છતાં હેરાન કરી નાણાં પડાવવામાં આવતા હોવાની ખાનગી બાતમી એસીબીને મળી હતી. જેના આધારે પૂર્વ કચ્છ એસીબીની ટીમે એક સચોટ વ્યૂહરચના ઘડીને 'ડીકોય ટ્રેપ' (નકલી ગ્રાહક મોકલીને કરાતી કાર્યવાહી) નું આયોજન કર્યું હતું. ડીકોય ઓપરેશન દરમિયાન જેવી આરોપી વિક્રમસિંહ જાટએ ફરિયાદી પાસેથી લાંચના ₹૨,૨૫૦ સ્વીકાર્યા, કે તરત જ પૂર્વતૈયારી સાથે સંતાઈને ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો. આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસીબીની આ પ્રાથમિક કાર્યવાહીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખાનગી બાતમીદારો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન પર આવતા નિર્દોષ અરજદારો અને વાહન ચાલકો ભારે મજબૂરીનો સામનો કરી રહ્યા હતા. વાહનો પાસ કરાવવા માટે અહીં અરજદારો પાસેથી ₹૧,૦૦૦ થી લઈને ₹૧૦,૦૦૦ સુધીની ગેરકાયદેસર વસૂલાત (तोडबाजी) કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે. આ સફળ ટ્રેપ બાદ હવે અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન થયા છે.
રંગેહાથ ઝડપાયેલા આરોપી વિક્રમસિંહ મનદ્રુપસિંહ જાટ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારીઓ ધ્રૂજી ઉઠે તેવી આ સમગ્ર સફળ ટ્રેપ પૂર્વ કચ્છ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ.વી. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ એસીબીની સક્ષમ ટીમ દ્વારા અંજામ આપવામાં આવી હતી. એસીબીની આ સપાટાભેર કામગીરીથી સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ સાથે સંકળાયેલા લાંચિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ વાંચો:
કચ્છ અને ગુજરાતના તાજા સમાચાર સીધા તમારા વોટ્સએપ પર મેળવો!

0 ટિપ્પણીઓ